ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. સામાન્ય રીતે વડા પ્રધાન લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષનો નેતા હોય છે.[૧]
૧૯૪૭થી ભારતમાં ૧૪ વડા પ્રધાનો રહી ચૂક્યા છે, ૧૫મા વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા બે વખત કાર્યકારી વડા પ્રધાન રહ્યા હતા. પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હતા,[૨] જેમણે ભારતની સ્વતંત્રતા સમયે ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ શપથ લીધા હતા. મે ૧૯૬૪માં તેમના મૃત્યુ સુધી તેઓ વડા પ્રધાન રહ્યા હતા અને ભારતના સૌથી લાંબો સમય પદ પર રહેનાર વડા પ્રધાન હતા. તેમના પછી લાલ બહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા અને તેમના ૧૯ મહિનાના શાસન પછી તેમનું મૃત્યુ થયું હતું. ત્યાર પછી નહેરુના પુત્રી ઈન્દિરા ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ૧૧ વર્ષ પછી જનતા પાર્ટીના ચૂંટાતા ઈન્દિરા ગાંધીના શાસનનો અંત આવ્યો હતો અને મોરારજી દેસાઈ પ્રથમ બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા. ૧૯૭૯માં તેમના રાજીનામા પછી તેમના ઉપ વડા પ્રધાન ચરણ સિંહ કોંગ્રેસના ટેકાથી ૬ મહિનાના ટૂંકા ગાળા માટે વડા પ્રધાન બન્યા હતા અને ત્યાર પછી ફરી ઇન્દિરા ગાંધી સત્તામાં આવ્યા હતા. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના રોજ તેમની હત્યા થતાં તે જ સાંજે તેમના પુત્ર રાજીવ ગાંધી વડા પ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેઓ તેમના કુટુંબમાંથી ત્રીજા વડા પ્રધાન હતા. અત્યાર સુધીમાં નહેરુ-ગાંધી પરિવાર કુલ ૩૭ વર્ષ ૩૦૩ દિવસો સુધી વડા પ્રધાન પદે રહી ચૂક્યું છે.[૩]